dharmik

બજરંગદાસ બાપા ના આશ્રમ વિસે આ વાતો તમે ક્યારેય નહીં જાણતા હોય

ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા તલ્લીન થયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું નહીં હોય કે જ્યાં બજરંગદાસ બાપાની મઢુલી ન હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.

ભાવનગરના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું નાનપણનું નામ ભક્તિરામ હતું. તેમણે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા.

ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામબાપુએ તેમને કહ્યું કે તમે તો ગુરુ નો અવતાર છો મારે તમને આપવાનું હોય તમારે નહીં. ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઇક આપવા માગતા હોવ તો એવું કંઇક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે. ત્યારે સીતારામબાપુએ તેમને નવું નામ આપ્યું ‘બજરંગી’ અને કહ્યું કે આખું જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે.

ગુરુજ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ બગદાણા આવ્યા. અંદાજે આ વર્ષ 1941નું હતું. અહીં બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બજરંગદાસ બાપાને ગમી ગયા ને ત્યાર પછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા. એવું કહેવાય છે કે તેઓએ 1951માં આશ્રમની સ્થાપના કરી હતી.

બગદાણામાં 1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. અને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું પ્રવેશદ્વાર વિશાળ છે. બન્ને બાજુ કાંચ છે, શિવ અને પાર્વતીની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. સમય જતા ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા. તેઓએ 1977માં દેહત્યાગ કર્યો.

બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ (પોષ વદ 4) અને ગુરુપુર્ણિમાનો ઉત્સવ અહીં ધામધૂમથી ઉજવાય છે. બગડેશ્વર મહાદેવ, બગડાલવ નામનો કુંડ અને ત્રિવેણી સંગમ અહીંના જોવાલાયક સ્થળો છે. અહીં ની આરતીનો સમય સવારે: 5.30 વાગ્યે, સાજે: સંધ્યા સમયે અને દર્શનનો સમય: સવારે 6.00 થી સાંજે 7.30 સુધીનો છે.

બગદાણા આશ્રમ મહુવાથી 32 કિમી, ભાવનગર થી 78 કિમી અને અમદાવાદથી 250 કિમી દૂર છે. બગદાણા જવા માટે અમદાવાદથી સીધી બસ મળે છે. આ ઉપરાંત ગુજરાતનાં અન્ય મોટાં શહેરો ભાવનગર, રાજકોટમાંથી પણ સીધી બસ મળી શકે છે. અહીં નજીકનું રેલવે સ્ટેશન 40 કિમી દૂર પાલિતાણા છે. અને નજીકનું એરપોર્ટ 78 કિમી દૂર ભાવનગર છે.

બગદાણા ની નજીક મંદિરો પાલિતાણા જૈનદેરાસર 41 કિમી, ખોડિયાર મંદિર ભાવનગર 78 કિમી, સારંગપુર હનુમાન મંદિર 132 કિમી, ભીમનાથ મંદિર ભાવનગર 78 કિમી આવેલા છે. બગદાણામાં રહેવાની સુવિધા માટે બે ધર્મશાળા છે, જેમાં 100 રૂમ છે. રહેવાની કોઈ ફી લેવામાં આવતી નથી. ભોજનાલય 24 કલાક સુધી ચાલુ જ રહે છે.

Leave a Reply

Your email address will not be published.